બીજી રીત વચન પાળો
બીજી રીત વચન પાળો
‘ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’—માત્થી ૧૯:૬.
આનો અર્થ શું થાય. સુખી પતિ-પત્ની લગ્નને જીવનભરનો સાથ માને છે. તકલીફમાં પણ છૂટા પડી જવાને બદલે ઇલાજ શોધે છે. પતિ-પત્ની જ્યારે સુખ-દુઃખમાં એકબીજાને વળગી રહે છે, ત્યારે તેઓ સલામતી અનુભવે છે. તેઓને ભરોસો રહે છે કે પોતાના જીવનસાથી દગો નહિ કરે.
એ કેમ મહત્ત્વનું છે. લગ્નમાં અપાતું વચન એ સુખી સંસારનો મુખ્ય આધાર છે. તોપણ જો વારંવાર ઝઘડા થતા હોય તો એ વચનને વળગી રહેવું બોજારૂપ લાગી શકે. ‘મરતે દમ તક’ સાથે રહેવાનું વચન જાણે એક ધંધાકીય કરાર થઈ જાય, જેને તોડવા પતિ કે પત્ની કોઈ પણ બહાના કાઢવા માંડે. તેઓ લગ્નબંધન ભલે તોડી નથી નાખતા, પણ મનથી તો છૂટા પડી ચૂક્યા હોય છે. જેમ કે કોઈ મોટી બાબતોની ચર્ચા કરવાની હોય તોપણ, પતિ-પત્ની બસ મોઢું ચઢાવીને ચૂપચાપ બેસી રહેશે.
આમ કરી જુઓ. તમે તમારું વચન કેટલી હદે પાળો છો, એ પારખવા નીચેના સવાલો પર વિચાર કરો:
◼ ઝઘડો થાય ત્યારે શું મને પસ્તાવો થાય છે કે ક્યાં મેં આની સાથે લગ્ન કર્યા?
◼ શું હું મારા લગ્નસાથી સિવાય કોઈ બીજા સાથે રહેવાનાં સપનાં જોઉં છું?
◼ શું કોઈ વાર હું મારા સાથીને કહું છું કે ‘હું તને છોડીને ચાલ્યો જઈશ’ કે પછી ‘જોજે ને, મારી કદર કરે એવા કોઈકને હું શોધી કાઢીશ’?
આટલું જરૂર કરો. એવી એક-બે બાબતો કરવાનો વિચાર કરો જેનાથી તમારું લગ્નબંધન વધારે લાંબું ટકી શકે. (અમુક સૂચનો: કોઈ કોઈ વાર તમારા લગ્નસાથીને પ્રેમપત્ર લખો. નોકરીધંધા પર લગ્નસાથીનો ફોટો રાખો. નોકરી પરથી રોજ તેમને ફોન કરો.)
આવાં કેટલાંક સૂચનો પર વિચાર કરો. પછી તમારા લગ્નસાથીને પૂછો કે તેમને શું વધારે ગમશે. (g09 10)
[ક્રેડીટ લાઈન]
© Corbis/age fotostock
[પાન ૪ પર ચિત્ર]
લગ્નનું વચન રોડની રેલિંગ જેવું છે, જે લગ્નજીવન સલામત રાખશે